મહેસાણા, વિઠોડા, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
કચ્છના નલીયાથી હિંમતનગર તરફ આવી રહેલ એક જીપડાલુ મોડી રાત્રે સિધ્ધપુર ખેરાલુ રોડ પર મલેકપુર નજીક એકાએક ધડાકાભેર ઝાડ સાથે અથડાયું હતું. જેમાં મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના છ શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ૯ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. સર્જાયેલા અકસ્માત બાદ ઈજાગ્રસ્તોની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે રાહત બચાવની કામગીરી આરંભી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના નલીયા ખાતે છેલ્લા ત્રણેક મહિનાથી પાણીની ટાંકીઓ બનાવવાના કામઅર્થે મજુરી કામે ગયેલા ખેડબ્રહ્મા પંથકના શ્રમજીવી પરિવારો અહીં કામ પૂર્ણ થતાં મંગળવારની રાત્રીએ પીકઅપ ડાલુ ભાડે કરીને હિંમતનગર ખાતે પાણીની ટાંકી બનાવવા માટેની સાઈટ ઉપર જવા રવાના થયા હતા. પીકઅપ ડાલામાં ઘરવખરી અને શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓ સાથે ૨૦ જેટલા લોકો બેસીને નલીયાથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. તે વખતે માર્ગમાં સિધ્ધપુર ખેરાલુ રોડ પર આવેલા મલેકપુર અહીપુર વચ્ચે અચાનક જીપડાલાના ડ્રાયવરને ઝોકું આવી જતાં તેણે સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડી રોડ પરથી ઉતરી જઈને સાઈડમાં આવેલા એક ઝાડ સાથે ધડાકા સાથે અથડાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં પાંચ મજુરોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. વળી જીપડાલામાં બેઠેલા ૯ જેટલા શખસોને ગંભીર ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.
સ્થાનિકો રાહત બચાવની કામગીરીમાં જોતરાયા
સિધ્ધપુર ખેરાલુ રોડ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતા આસપાસ વસવાટ કરતા લોકો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા શ્રમજીવીઓને બહાર કાઢીને તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવા રાહત બચાવની કામગીરી શરૃ કરી હતી.
જીપડાલાનો ચાલક ફરાર થઈ ગયો
મોડી રાતે બે વાગ્યાના સુમારે ખેરાલુ, સિધ્ધપુર રોડ પર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પીકઅપ ડાલાનો ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. આ અંગે છાપરીના દિનેશ જીત્રા ગણવાએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંદાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પીઆઈ પાઠક ચલાવી રહ્યા છે.
શ્રમજીવી દંપતી કાળનો ભોગ બન્યા
ખેરાલુના મલેકપુર નજીક કચ્છના નલીયાથી પોતાના ઘરે પરત ફરી રહેલા શ્રમીવીઓને નડેલા અકસ્માતમાં મજુરી કરીને પેટીયું રળનાર દંપતી પણ કાળનો ભોગ બન્યા હતા. જોકે તેમનો માત્ર છ મહિનાનો માસુમ દીકરાનો સર્જાયેલા અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.
અકસ્માતનો ભોગ બનેલા મૃતકો
ડામોર પુંજીલાલ જીતરાજી, ઉ.વ. ૪૩
ભાભોર સરદાર માનસી, ઉ.વ.૪૫
ભાભોર કાલુ દેવાન, ઉ.વ. ૧૦
ડામોર શારદાબેન પુંજીલાલ, ઉ.વ.૪૨
ભાભોર કાલીબેન ઈન્દ્રેશ(ઉ.વ.૩૦)
તમામ રહે. પીઠનપુર(નાની) જાબુંસા, મધ્યપ્રદેશ
ઉમેશ કાળુ મોડા, ઉ.વ.૨૪
રહે. અજવાણી, જાંબુસા, મધ્યપ્રદેસ
ઈજાગ્રસ્તોના નામ
ઠાકોર સકરી દિનેશભાઈ, ઉ.વ.૩૭
ઠાકોર સીમા દિનેશભાઈ, ઉ.વ. ૨૦
ભીલ દેવા માનસી, ઉ.વ.૩૬
અજય દિવાનભાઈ, ઉ.વ.૨૨
ભીલ દિનેશ જીવરામભાઈ, ઉ.વ. ૨૦
એક અજાણી વ્યક્તિ
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SGjJ9h
No comments:
Post a Comment