
આતંકીઓ સામેની અથડામણમાં એક જવાન અને નાગરિક ઘાયલ
પાક. સૈન્યના ગોળીબારના કારણે કિર્ણી સેક્ટરમાં બોર્ડર નજીકની શાળાઓ બંધ
શ્રીનગર, તા. 3 મે, 2019, શુક્રવાર
સરહદે પાકિસ્તાની સૈન્ય અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બન્યા હતા. ભારતીય સુરક્ષાતંત્રએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૃદ્ધ ઓપરેશન ચલાવીને બુરહાન વાનીના સાગરિત સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સુરક્ષાતંત્રએ આતંકવાદીઓ વિરૃદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું. બેફામ બનેલા આતંકવાદીઓ સામે થયેલી કાર્યવાહીમાં આતંકવાદી બુરહાન વાનીની ગેંગનો છેલ્લો આતંકી લતિફ ટાઈગર ઠાર થયો હતો. કુલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાતંત્રને સફળતા મળી હતી.
આતંકવાદી બુરહાન વાની ઠાર થયો તે પછી તેની ગેંગના મોટાભાગના આતંકીઓનો ખાતમો બોલાવી દેવાયો હતો. હિઝબુલનો કમાન્ડર અને બુરહાનનો છેલ્લો સાગરિત લતિફ ટાઈગરને પણ ઠાર કરવામાં સુરક્ષાતંત્ર સફળ રહ્યું હતું. અદખારા ગામમાં છુપાયેલો લતિફ સુરક્ષા તંત્ર સામે ફાઈરિંગ દરમિયાન માર્યો ગયો હતો.
તે સિવાય અન્ય ઓપરેશનમાં પણ સુરક્ષાતંત્રએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. કુલ ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર થયું હતું. ઓપરેશન દરમિયાન સૈન્યનો એક જવાન ઘાયલ થયો હતો. જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને નુકસાન થયું હતું. સામ-સામા ફાયરિંગમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો.
દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી હતી. બીજી તરફ સરહદે પાકિસ્તાનનું નાપાક સૈન્ય બેફામ બન્યું હતું. પૂંચ સેન્ટરના કિર્ણીમાં પાકિસ્તાન સૈન્યએ બેફામ તોપમારો કર્યો હતો. સતત ત્રણ દિવસથી પાકિસ્તાન શસ્ત્ર વિરામ ભંગ કરીને બેફામ તોપ અને મોર્રાટ મારો કરે છે. તેના કારણે સરહદી વિસ્તારની શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
શ્રીનગર અને બનિહાલ વચ્ચેની જે ટ્રેનો દક્ષિણ કાશ્મીર થઈને નીકળે છે, તેને હાલ પૂરતી બંધ કરવામાં આવી હતી. અનંગનાગ લોકસભાની બેઠક માટે મતદાન આગામી દિવસોમાં થવાનું હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એ વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે સંઘર્ષ વધતો જાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYuPFN
No comments:
Post a Comment