
ગાંધીનગર, તા.3 મે 2019, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો વધી રહયા છે ત્યારે શહેર નજીક આવેલી ખોરજ નર્મદા કેનાલમાં વેજલપુરના પરિણીત પ્રેમી યુગલે દુપટ્ટો બાંધી એકસાથે જ આપઘાત કરી લીધો હતો. આજે બપોરે તેમના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા. આ સંદર્ભે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે ત્યારે પ્રેમમાં નાસીપાસ થયેલા અમદાવાદ વેજલપુરના દંતાણી વાસમાં રહેતા પરિણીત પ્રેમી યુગલે જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ૩ર વર્ષીય માયા વિકીભાઈ દંતાણી અને તેની સામે જ રહેતા ૧૯ વર્ષીય પરિણીત યુવાન હાર્દિક રણજીતભાઈ દંતાણી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા પરંતુ તેમનો આ પ્રેમ લાંબો સમય ટકી શકે તેમ ના હોવાથી તેમણે આ ફાલી દુનિયાને અલવીદા કરવાનું નક્કી કરી લીધું હતું.
ગઈકાલે બપોરના સમયે હાર્દિક અને માયા તેમના ઘરેથી ગુમ થઈ ગયા હતા અને ગાંધીનગર નજીક ખોરજ પાસેની નર્મદા કેનાલમાં એકબીજાના શરીર સાથે દુપટ્ટો બાંધીને છલાંગ લગાવી દીધી હતી.
આજે બપોરના સમયે આ બન્નેના મૃતદેહ કેનાલના પાણી ઉપર તરતા જોવા મળતાં અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના આધારે મૃતદેહોને ગાંધીનગર ફાયર બ્રિગેડે કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ત્યારે માયા બે બાળકોની માતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DHTEA7
No comments:
Post a Comment