મોરબી,તા.25 માર્ચ 2019,સોમવાર
મોરબીમાં રવિવારે સાંજે ગુમ થયેલ બાળકના પિતાએ પુત્રના અપહરણની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ અપહૃત બાળકનો પત્તો મેળવી શકે તે પૂર્વે આજે ધુનડા નજીકથી બાળકનો સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા અને બાળકની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ તેના માસા દ્વારા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના પુત્રના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં શકદાર તેના સાઢુભાઈ હાર્દિક ઘનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. ફરિયાદીનો ૧૧ વર્ષનો પુત્ર હિતેશ મોરબીના વજેપરમાં તેના મામાના ઘરે રહેતો હતો અને ધોરણ ૫માં અભ્યાસ કરતો હતો.
ગત રવિવારે સાંજે વજેપર શેરી નં. ૧૧ નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બાદ તે પરત ફર્યો ના હતો. જે ફરિયાદને પગલે શકમંદ બાળકના માસા હાર્દિક ચાવડાને એ ડીવીઝન પોલીસ મથકે લાવી આકરી પૂછપરછ કરતા ભાંગી પડયો હતો અને સજ્જનપર ધુનડા રોડ પર તેને બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત આપી હતી.
પોલીસે સ્થળ પર તપાસ કરતા સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. જેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ડીવાયએસપી એ.ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી. પોલીસે આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધવા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.
મૃતક હિતેશના પિતા અશોકભાઈ ચાવડાને આરોપીની પત્ની સોનલબેન સાથે આડાસંબંધ હોવાની શંકા હોય તેમજ તેની પત્ની તેના પ્રત્યે ખુબ પ્રેમ દેખાડતી હોય અને તેના બહાને તેની પત્ની અશોક ચાવડાને મળવા જતી હોય તેવી શંકા રાખી તેના પગલે ગઈકાલે નાસ્તો લેવા હિતેશ ઘર બહાર નીકળ્યો ત્યારે મોટરસાયકલમાં અપહરણ કરી લઈ ગયો હતો અને બાદમાં ગળું દબાવી હત્યા કરી હતી. તેમજ બાદમાં મૃતદેહ સળગાવી નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં સતવારા મધ્યમવર્ગીય પરિવારમાં આડાસંબંધે માસૂમનો ભોગ લીધો છે. સાઢુભાઈને તેની સાળી સાથેના આડાસંબંધ હોવાની શંકાએ સાઢુભાઈએ તેના ૧૧ વર્ષના ભાણેજની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FwnfMN
No comments:
Post a Comment