(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 11 નવેમ્બર 2018, રવિવાર
સુરતના ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં નવા વર્ષની રાત્રીએ સાધ્વી મહારાજની છેડતીનો પ્રયાસ થતાં જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. પહેલાં પોલીસે ફરિયાદમાં તથ્ય હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સમાજમાં ભારે આક્રોશ જોતાં પોલીસે સ્થળ મુલાકાત લઈને આખરે ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદ લઈને સાધ્વી મહારાજની છેડતી કરનાર શખ્સને શોધવાની કવાયત આદરી છે.
સુરતના ગોપીપુરા સ્થિત જૈન ઉપાશ્રયમાં તા.૮ નવેમ્બર એટલેે નવા વર્ષની રાત્રે સાધ્વી મહારાજ સુતા હતા ત્યારે એક વ્યક્તિએ તેમની છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આ ઉપાશ્રયમાં રહેતા ૨૫ જેટલા સાધ્વી મહારાજની સલામતી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. બનાવ અંગેની પોલીસ મથકેથી મળેલી વિગત પ્રમાણે નવા વર્ષની રાત્રીના ૧૨-૦૦ વાગે બીજા માળે એક યુવાન પહોંચી ગયો હતો. અને સાધ્વીજીઓ સુતા હતા તેમાંથી એક સાધ્વીજીને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુતેલા સાધ્વીઓ વચ્ચે આ યુવાને સ્પર્શ કરવાની કોશિષ કરતા સાધ્વીજી જાગીને બુમા બુમ કરી દીધી હતી.
જોકે, છેડતી કરવા આવેલો યુવાન પકડાય તે પહેલાં ભાગી ગયો હતો. આ અંગે ઋષભ ચાર રસ્તા ખાતે રહેતા આસીત ગાંધીએ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ બનાવમાં પહેલા પોલીસ ગંભીર નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ સમાજનો રોષ જોતાં ફરિયાદ નોંધી હતી. ઉપાશ્રયમાં ગેરકાયદે પ્રવેશનાર યુવાન વિરૂધ્ધ ગુનો દાખલ કરીને પોલીસે યુવાનને શોધવાની કવાયત હાથ ધરી છે.
ભુતકાળમાં ઉપાશ્રયમાં પથ્થરો પડતા હતા
ગોપીપુરાના ઉપાશ્રયમાં સાધ્વી મહારાજની છેડતીના પ્રયાસ બાદ જૈન સમાજમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. સાધ્વી મહારાજ સાથે ગેરવર્તન કરનારાને ઝડપીને કડક સજા થાય તેવી માગણી સમાજના લોકો કરી રહ્યા છે. આ ઘટનાને પગલે ભુતકાળમાં ઉપાશ્રયમાં પથ્થરો પડતાં હતા તે ઘટના પણ ફરી ચર્ચામાં આવી છે. ભુતકાળમાં આ ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ રહે છે તેના પર પથ્થરો મારવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં તપાસ પણ થઈ હતી અને પથ્થર મારવાનું બંધ થઈ ગયું હતું. સમયાંતરે આવા બનાવ બનતાં હોવાથી ઉપાશ્રયમાં રહેતાં સાધ્વી મહારાજની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qCe8TY
No comments:
Post a Comment