(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
વડોદરામાં પીવાનું ગંદુ પાણી લોકોને પહોંચાડવા અંગે નાયબ મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશ્નર પાસેથી વિગતો મેળવી હતી અને ધ્યાન રાખવાની સૂચના આપી હતી.
પીવાના પાણીની ઉભી થયેલી મુશ્કેલી બાદ વડોદરા દોડી આવેલા નિતિન પટેલે પાણી સંબંધિત પ્લાન્ટ-મશીનરીઓની દુરસ્તી માટે લેવામાં આવેલા પગલાં તેમજ આયોજનની વિગતો મેળવ્યા બાદ પાણીના નમૂનાની પૂરતી ચકાસણી સાથે પાણી વિતરણ કરવાની તકેદારી રાખવા જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ આજે વડોદરામાં અધિકારીઓની સાથે પીવાના પાણીની સમીક્ષા પૂર્વે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે રાજ્યની ચાર કરોડ જનતાને રોજ ૩૭૫ કરોડ લીટર જેટલું પાણી નર્મદા યોજના દ્વારા પૂરુ પાડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમ દ્વારા પાણી લોકોને મળી રહ્યું છે. મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં અછત જેવી કોઇ પરિસ્થિતિ નથી. તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુધન માટે કિલોદીઠ રૃા.૨ના ભાવે ૧૦ કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ કરાવાયો છે. રાજ્યાના ૪૦ હજાર જેટલાં રહેણાંક વિસ્તારોમાંથી ૫૫૦ જેટલાં વિસ્તારોને જ ટેન્કરથી પાણી આપવું પડે છે.
વડોદરાના લોકો છેલ્લા ઘણા વર્ષોથી ગંદુ પાણી પીવે છે તેની ખબર હતી કે નહી તેવા એક પ્રશ્નનો ઉત્તર આપવાના બદલે નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને આ અંગે તંત્રને ફરિયાદ કરવી જોઇએ તેવી સલાહ આપી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ln0GAp
No comments:
Post a Comment