
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 11 એપ્રિલ 2019, ગુરુવાર
વ્હોરા સમાજના સામાન્ય પરિવારના લોકોને મહિધરપુરા અલાયાની વાડી ખાતે ફ્લેટ આપવાના બહાને બુકિંગ પેટે પૈસા લઇ બાદમાં પ્રોજેક્ટ શરૂ નહીં કરી અને ત્યારબાદ તે સ્થળે બીજો પ્રોજેક્ટ મૂકી અગાઉના પ્રોજેક્ટમાં બાના પેટે લીધેલી તમામ રકમ પરત કરી દીધી છે તેવા દસ્તાવેજો ઉભા કરી વ્હોરા સમાજના ૧૫૦ થી વધુ વ્યક્તિ સાથે રૂ.૧.૨૫ કરોડથી વધુની ઠગાઈ કરનાર પેઢીના મહિલા ભાગીદાર વિરુદ્ધ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઝાંપાબજાર તૈયબી મહોલ્લો એ.સી.એન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૨ માં રહેતા અને ઘરમાં સિલાઈ કામ કરતા ૪૪ વર્ષીય વિધવા શહેનાઝ ખોઝેમભાઇ દાગીનાવાળાએ વર્ષ ૨૦૧૦ માં મહિધરપુરા પોસ્ટ ઓફિસની પાછળ અલાયાની વાડીમાં ૪/૨૦૦ ખાતે બાબાજી બાગના નામે રેસિડેન્સીયલ ફ્લેટનું આયોજન કરનાર મુલ્લા અબ્દુલ હુસેન મોહમ્મદભાઈ મલમપટ્ટીવાલા, જોહર મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા, આસીફા જોહર મુલ્લા મલમપટ્ટીવાલા, નેમાબેન મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલા તથા ફૈજી ફકરૂદ્દીન પહાડવાલાની પેઢી એફજેડ એન્ટરપ્રાઇઝમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. તેમણે રૂ. ૮૨,૫૦૦ ચૂકવ્યા હતા પણ રસીદ રૂા.૩૭,૫૦૦ ની આપી બાકી રકમની નોંધ એક ડાયરીમાં કરાઇ હતી.
જોકે, ભાગીદરો વચ્ચે હિસાબી તકરારમાં ૬ માસ બાદ પણ પ્રોજેક્ટ સ્થળે કામ શરૂ થયું નહોતું. બાદમાં બહાર આવ્યું કે, સમગ્ર પ્રોજેક્ટ જ વિવાદમાં છે. વર્ષ ૨૦૧૬ ના એપ્રિલ મહિનામાં એ જ સ્થળે મુફદલ બાગના નામે નવો પ્રોજેક્ટ એરીસન્ટ ડેવલોપર્સે મૂક્યો હતો. શહેનાઝબેન ત્યાં ગયા ત્યારે જોહર મુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાળાએ ખાતરી આપી હતી કે, બાગજી બાગમાં જે ફ્લેટ પસંદ કર્યો છે તે જ કિંમતમાં તેમને ફ્લેટ મળશે. પણ આ નવા પ્રોજેક્ટનું કામ પણ શરૂ થયું નહોતું. માર્ચ-૨૦૧૭માં શહેનાઝબેન ફરી બુકિંગ ઓફિસ ગયા ત્યારે ત્યાંના સ્ટાફે કહયું, કે અગાઉના પ્રોજેક્ટના બાનાની રકમ ચેક મારફત ચૂકતે કરી દેવાઇ છે કહી ચેકની વિગતો પણ બતાવી હતી. પણ શહેરનાઝબેન સહિત ૧૫૦થી વધુ લોકોને ચેકની રકમ પરત મળી જ નહોતી.
બાના પેટે લીધેલી રકમ પરત કરી દીધી છે તેવા દસ્તાવેજો પણ બનાવી દીધા
અગાઉના પ્રોજેક્ટ માં જે ૧૫૦ થી વધુ લોકોએ બાના પેટે રકમ આપી હતી તે તમામને ચેક મળી ગયા છે તેવા બોગસ દસ્તાવેજો ઉભા કરી પૈસા ચૂકવી દીધા હોવાનું દર્શાવાયું હતું. જ્યારે એકેયને ચેક મળ્યા ન હતા.આ સમયગાળામાં જ જોહર મુલ્લા મલમપટ્ટીવાલાનું અવસાન થતા અંદાજીત રૂ.૧.૨૫ કરોડથી વધુની ઠગાઈ અંગે આખરે શહેનાઝબેને જોહર મુલ્લા મલમપટ્ટીવાલાના પત્ની આસેફાબેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ જે પી ગુપ્તા કરી રહ્યા છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IsuY1x
No comments:
Post a Comment