
રાજકોટ, તા. 27 માર્ચ 2019, બુધવાર
લક્ષ્મીવાડી પાર્કમાં હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગનું કામ કરતા કૌશિક નરેશભાઈ પારેખ નામનાં ૧૯ વર્ષના વણિક યુવાને વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીથી કંટાળી આજે સવારે અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભક્તિનગર પોલીસે તેની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. કૌશિકે પોલીસને જણાવ્યું કે તે મોબાઈલ રિપેરીંગ ઉપરાંત તેની લે-વેચનું કામ કરે છે. તેને આરોપી હાર્દિક ગોકાણીની મિલપરામાં આવેલી બાલાજી મોબાઈલ નામની દુકાને બેઠક હોવાથી તેની પાસે મોબાઈલ લઈ વેંચતો હતો.
તેને નાણાંની જરૂરીયાત પડતા લક્ષ્મીવાડીના આરોપી હરૂભા ઝાલા પાસેથી વીસેક દિવસ પહેલા ૧.૫૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણી કરવા ગઈકાલે રાત્રે તે તેના ઘરે આવ્યો હતો અને માતા તથા પાડોશીઓની હાજરીમાં બેફામ ગાળો ભાંડી વ્યાજ સહિતની રકમ બે દિવસમાં નહીં ચુકવતા તો તેવી ધમકી આપી, મારકૂટ કરી હતી.
આ ઉપરાંત હરૂભાની દુકાનની બાજુમાં રહેતા આરોપી દિપુ રાજપૂત પાસેથી તેણે ત્રણેક માસ પહેલા મોબાઈલ ખરીદવા માટે ૫૦ હજાર લીધા હતા. તેણે પણ તેને મારકૂટ કરી તત્કાળ નાણાં ચુકવી આપવા ધમકી આપી હતી. તેણે નિલકંઠ ટોકીઝ સામે આશાપુરા નામની મોબાઈલની દુકાન ધરાવતા આરોપી નિલેશ રાજપૂત પાસેથી ૧.૫૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. તેને વ્યાજ નહીં ચુકવી શકતા તેણે તેનાં મિત્ર હાર્દિક જોષીની અલ્ટો કાર, મિલન પાસેથી લીધેલુ મોટરસાયકલ, પોતાનું એક્ટિવા, ૪ મોબાઈલ ફોન લઈ બળજબરીથી પડાવી લીધા હતા.
જ્યારે જેને ત્યાં બેઠક હતી તેવા આરોપી હાર્દિક મોકાણી પાસેથી ૧ લાખના મોબાઈલ લીધા હોવાથી તે પણ ઉઘરાણી કરી મારકૂટ કરી, ધમકીઓ આપતો હતો.
આ રીતે આ ચારેય આરોપીએ તેને મારકૂટ અને ધમકી આપતા હોવાથી કંટાળીને આજે સવારે ઘરેથી નિકળી પૂજારા પ્લોટમાં સ્થિત જૂની બંધ થઈ ગયેલી લવ-કુશ નામની શાળાના કમ્પાઉન્ડમાં અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના પરથી વધુ એક વખત સ્પષ્ટ થયું છે કે, શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oxbji3
No comments:
Post a Comment