
ભાવનગર, તા. 07 માર્ચ 2019, ગુરૂવાર
સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે તેમ આજે ગુરૃવારે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નર્મદા જળના વધામણા માટે આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ. તેઓએ કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. પાણી અને ખેડૂતના પ્રશ્ને કોંગ્રેસને આડેહાથ લઇ ટીકા કરી હતી. તેમણે મોદી સ્ટાઇલમાં ભાઇઓ-બહેનોના સંબોધન સાથે અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહિ દામ અને મોંઘવારી પર લગામનું સુત્ર જણાવ્યું હતુ. સેનાના શોર્યને તેમણએ બિરદાવ્યું પરંતુ પુલવામાના શહીદો વિસરાયા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નર્મદા જળના વધામણા કરતા ગુજરાત વિરોધીઓને સ્પષ્ટ કહ્યું હતુ કે સૌરાષ્ટ્રની પ્રજાને તરસી રાખી ખેડૂતો બરબાદી તરફ ધકેલવાનું જે પાપ તેમણે કર્યું છે તેને પ્રજા માફ નહીં કરે. ગુજરાતની જનતામાં પાણીમાંથી પારસમણી પેદા કરવાની અને ખેડૂતોને વીજળી અને પાણી મળે, તો સોનું ઉગાડવાની તાકાત છે, એમ કહીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે સૌરાષ્ટ્રના 115 ડેમ રૂ. 18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે.
સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કર્યું હતુ. તદુપરાંત, ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કુલ રૂ. 23.73 કરોડના ખર્ચે નવનિર્મિત બહુમાળી પોલીસ આવાસોનું લોકાર્પણ, શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની પાઇપલાઇનની કામગીરીનું તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના ઇ.ડબલ્યુ.એસ.-1 અને ઇ.ડબલ્યુ.એસ.-2ના કુલ 2,496 આવાસોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ પાણી જેવી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત પ્રત્યે ઉપેક્ષા કરેલી તેની આલોચના કરતા તેમણે ઉમેર્યું કે ઉત્તર ગુજરાત ધૂળિયું ન બને, સૌરાષ્ટ્ર લીલુછમ થાય, તે માટે અમારી સરકારે ભગીરથ કાર્ય કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રને પાણીના સંકટમાંથી કાયમી મુક્ત કરવાનું સપનું સેવ્યં હતુ. તે સમયે ગુજરાત વિરોધીઓ આ યોજનાની મજાક ઉડાવતા હતા. અત્યારે ઉનાળાના પ્રારંભે ડેમોમાં નર્મદાના નીર પહોંચ્યા છે, ત્યારે આવા વિરોધીઓને પાણી મુદ્દે બોલવાનો કોઇ જ અધિકાર નથી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની સરકારે ખેડૂતોને માત્ર રૂ. 56,000 કરોડ આપી છેતર્યા હતા જેની સામે વડાપ્રધાને 10 વર્ષમાં રૂ. 7.50 લાખ કરોડ આપવાનો નિર્ધાર કરી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી દીધી છે.
અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહિ દામ અને મોંઘવારી પર લગામ આ મંત્ર સાથે સરકાર કાર્યરત છે એમ જણાવી કહ્યું હતુ કે, અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ તેની પ્રજા સાક્ષી પણ છે. આતંકવાદીઓને વીણીવીણીને ખતમ કરવાનું કામ પણ આપણી સેનાએ શૌર્યતાથી કર્યું છે. દરિયાના ખારા પાણીને શુધ્ધ પાણીમાં ફેરવી પીવાલાયક મીઠા બનાવવાનો ડિસેલિનેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે તેમ જણાવી ભાવનગરમાં પણ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરાશે તેની વિગતો તેમણે આપી હતી. સૌની યોજનાથી ભાવનગર જિલ્લાને મળનારા લાભની તલસ્પર્શી માહિતી પણ તેમણએ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું જિલ્લાના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો અને સંગઠનના પદાધિકારીઓએ ગોહિલવાડની પરંપરા મુજબ કળશથી અભિવાદન કર્યું હતુ. સૌની યોજનાની બ્લૂપ્રિન્ટનું નિરીક્ષણ કર્યું હતુ. અલંગ ખાતે મેરિટાઇમ બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આળેલી હોસ્પિટલનું લોકાર્પણ તકતી અનાવરણ કરીને ચાવી અર્પણ કરીને કરવામાં આવ્યું હતુ. જિલ્લાના મહેસુલી અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારમાંથી એકઠા કરેલા રૃા.૧૯ લાખનો ચેક તેમજ કૃણાલ ગૃપે રૂ. 2.51 લાખ શહીદ પરિવારોના ફંડ માટે અર્પણ કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ ડો.માંડવીયા ગેરહાજર રહેતા આશ્ચર્ય સાથે ચર્ચા
આ લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જોકે તેઓ કાર્યક્રમમાં હાજર ન હોય આશ્ચર્ય સર્જાયું હતુ. જોકે કાર્યક્રમના ઉતરાર્ધમાં જાહેરાત કરાઇ હતી કે તેઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં સામેલ હોય ઉપસ્થિત રહી શક્યા નથી અને શુભેચ્છા પાઠવી છે.
મંત્રી પરબતભાઇ પટેલે મેયરના નામનો કર્યો ગોટાળો
જશ સંપતિ, પાણી-પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ સૌની યોજના માટે મોદી અને આ યોજનાને આગળ વધારવા માટે રૂપાણીને યશ આપ્યો હતો. મંત્રીએ પોતાના સંબોધનમાં ભાવનગરના મેયર મનહરભાઇ મોરીને જોશી બનાવી દીધા હતા.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NPsbAf
No comments:
Post a Comment